
કોરોનાં વાયરસની વિશ્વ બજારમાં બીજી લહેરને પગલે ઘઉંનાં ભાવમાં આજે ઘટાડો થઈને બે સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી, જેને પગલે લોકલ ભાવમાં પણ ઘટાડો થાય તેવીધારણાં છે.
ઈદે-મિલાદને પગલે શુક્રવારે હિમતનગર, ગોંડલ સહિતનાં કેટલાક પીઠાઓ બંધ રહ્યાં હતાં. રાજકોટ યાર્ડ આજે ચાલુ હતુ અને શનિવારે પણ ચાલુ રહેવાનું છે.
ઘઉંનાં લોકલ ભાવમાં ઊંચી સપાટીથી ભાવ છેલ્લા એક સપ્તાહથી ઘટી રહ્યા છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ઘઉનાં ભાવમાં સરેરાશ ઘટાડાનો દોર જોવા મળે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા મફત ઘઉનાં વિતરણ અંગ જે નિર્ણય લેવાય છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે.
ઈદે મિલાદને પગલે ગુજરાતમાં અનેક પીઠાઓ બંધ રહેતા ઘઉની આવકો ઘટી
રાજકોટમાં ઘઉંની ૨૫૦૦ બોરીની આવક હતી અને ભાવ બે નંબર ક્વોલિટીમાં રૂ.૩૨પથી ૩૨૮, એક નંબર કવોલીટી માં રૂ.૩૩૩થી ૩૩૬, એવરેજમાં રૂ.૩૪૦થી ૩૫૦ અને બેસ્ટ ક્વોલિટીમાં રૂ.૩૭૦થી ૪૨૧નાં ભાવ હતાં.
ઘઉંનાં વેપારીઓ કહે છે કે ટૂંકાગાળા માટે સરેરાશ ઘઉનાં ભાવ નીચી રહી શકે છે, પરંતુ બિયારણ ક્વોલિટીનાં ભાવ ખાસ ઘટ્યાં નથી. ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર વિક્રમી સપાટીએ પહોંચે તેવી સંભાવનાં છે, જેને પગલે બિયારણની મોટી માંગ નીકળી છે.
સારી ક્વોલિટીનાં ઘઉનાં ભાવ હાલ રૂ.૪૦૦થી ૪૫૦ આસપાસ જ અથડાય રહ્યાં છે, જેને પગલે બજારમાં હાલ મોટો ઘટાડો બિયારણ ક્વોલિટીમાં દેખાતો નથી.
વૈશ્વિક ઘઉં નો પ્રવાહો
વૈશ્વિક બજારમાં ઘઉંનાં ભાવ આજે પણ ઘટ્યાં હતાં. શિકાગો બેન્ચમાર્ક ઘઉં વાયદો ૨ સેન્ટ ઘટીને ૬.૦૬ ડોલરની સપાટી પર પહોંચ્યો હતો, જે બે સપ્તાહની સૌથી નીચી સપાટી બતાવે છે. જ્યારે મકાઈ વાયદો પણ ઘટીને ચાર ડોલર પર પહોંચ્યો છે, જેને પગલે તેની અસર ઘઉંની બજાર ઉપર પણ જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે.